ગુજરાત ATSનો મોટો ખુલાસોઃ અલકાયદાના ચાર આરોપીઓ ભારતમાંથી બાંગ્લાદેશમાં ફંડિંગ કરતા હતા
Publish: Fri, 2 Jun 2023 (19:02 IST)
Updated: Fri, 2 Jun 2023 (19:04 IST)
એસઓજીએ અમદાવાદમાંથી ગેરકાયદે રહેતા 18 બાંગ્લાદેશીઓની અટકાયત કરી
અમદાવાદઃ તાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદમાંથી આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ચાર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતાં. ત્યારે આગામી રથયાત્રામાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે ક્રાઈમ બ્રાંચ અને એટીએસ દ્વારા શહેરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરીકોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં 18 જેટલા નાગરીકોને પકડીને તેમની પુછપરછ કરવામાં આવી હતી. આ નાગરીકો પાસે ભારતીય નાગરીક હોવાનો કોઈ પુરાવો નહીં હોવાથી તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ
બીજી બાજુ તાજેતરમાં અમદાવાદમાંથી એટીએસ દ્વારા અલકાયદા સાથે પકડાયેલા ચાર બાંગ્લાદેશી નાગરીકોને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ચારેય આરોપીઓ ભારતમાંથી બાંગ્લાદેશમાં ફંડિગ કરતાં હતાં. તેઓ બાંગ્લાદેશમાં પોતાના આકાને રૂપિયા મોકલતા હતાં.તાજેતરમાંગુજરાતમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી નાગરિકોની મદદથી અલ કાયદા નામના આતંકી સંગઠન માટે યુવાનોના માઇન્ડ વોશ કરવા તેમજ આતંકી પ્રવૃતિ માટે ફંડ એકત્રિત કરવાની દેશ વિરોધી પ્રવૃતિનો ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરાયો છે. જે સંદર્ભમાં એટીએસના અધિકારીઓએ ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરીને દેશ વિરોધી પ્રવૃતિને લગતા અનેક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. તેની પુછપરછમાં અલ કાયદા માટે કામ કરતા અન્ય બાંગ્લાદેશી નાગરિકોના નામ પણ બહાર આવ્યા છે.
એટીએસ અને ક્રાઈમ બ્રાંચ સતર્ક થઈ ગઈ
આ સિવાય ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ભગવાનની રથયાત્રા નીકળતી હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે સઘન સુરક્ષાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. તે અનુસંધાને એટીએસ અને ક્રાઈમ બ્રાંચ સતર્ક થઈ ગઈ છે. એટીએસ દ્વારા પંજાબમાં પણ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં એવો ખુલાસો થયો હતો કે, કેટલાક આરોપીઓ લુધિયાનામાં 13 દિવસ રહ્યાં હતાં. એટીએસએ આ અંગે ત્રિપુરા અને અસામની પોલીસને પણ માહિતી આપી છે. તે ઉપરાંત બીએસએફની મદદ લઈને બોર્ડર પરની એજન્સીઓને પણ જાણ કરી દેવામાં આવી છે.
Publish: Fri, 2 Jun 2023 (19:02 IST)
Updated: Fri, 2 Jun 2023 (19:04 IST)