બગદાણા હુમલા કેસમાં જામીન અરજી પર આજે સુનાવણી
Jayaraj Ahir bail application
ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલ હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગુનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. આ કેસના મુખ્ય આરોપી અને જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત અન્ય પાંચ આરોપીઓની જામીન અરજી પર આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત કુલ 6 આરોપીઓએ જામીન માટે મહુવા કોર્ટમાં અરજી કરી હતી. ગઈકાલે શુક્રવારે કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. સરકારી વકીલ અને પીડિત પક્ષે જામીનનો સખત વિરોધ કર્યો છે, જ્યારે આરોપી પક્ષે જામીન માંગ્યા છે. કોર્ટે આ અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે, જે આજે અથવા સોમવાર સુધીમાં આવી શકે છે.
8 આરોપીઓ જેલમુક્ત
આ કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી 8 આરોપીઓના જામીન થોડા દિવસ પહેલા કોર્ટે મંજૂર કર્યા હતા અને તેઓ અત્યારે જેલ બહાર છે.
જેલમાં VVIP સુવિધાનો વિવાદ
હુમલાનો ભોગ બનનાર નવનીત બાલધિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ભાવનગર જેલમાં જયરાજ આહીરને VVIP સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેમણે DGP (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) ને લેખિત ફરિયાદ કરીને જેલના CCTV ફૂટેજ ચેક કરવાની માંગ કરી છે. આક્ષેપ છે કે જેલના નિયમો વિરુદ્ધ તેમને બહારનું ભોજન અને અન્ય સવલતો પૂરી પાડવામાં આવે છે.
શું હતો સમગ્ર મામલો?
આ વિવાદ ડિસેમ્બર 2025 માં શરૂ થયો હતો. મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા આશ્રમના 'મેનેજિંગ ટ્રસ્ટી' તરીકે એક નામ આપ્યું હતું, જેની સામે નવનીત બાલધિયાએ ટકોર કરી હતી. આ બાબતે વિવાદ વધતા 29 ડિસેમ્બર 2025 ના રોજ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસની તપાસ અત્યારે SIT કરી રહી છે.