લોકડાઉન-4ની છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં વધારો થયો
Publish: Tue, 2 Jun 2020 (13:53 IST)
Updated: Tue, 2 Jun 2020 (13:58 IST)
અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ કેસો ધરાવતું હોટસ્પોટ છે. ત્યારે લોકડાઉન-4માં મળેલી છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં અચાનક કોરોનાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 19 કેસ નોંધાયા હતા. જ્યારે એકનું મોત થયું હતું. ગઈકાલે નોંધાયેલા કેસમાં દસ્ક્રોઈમાં ઘુમા અને સાઉથ બોપલમાં 1-1,સાણંદ 3, બાવળા 1, વિરમગામ 3, ધોળકા 3, માંડલ 1, દેત્રોજ 3 અને ધંધુકામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં કેસોનું પ્રમાણ વધ્યું છે. રોજના 10થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. લોકડાઉન હળવું થતાં લોકો ગામડા તરફ અને શહેરોમાંથી અવરજવર વધતા સંક્રમણ વધ્યું છે. બીજી તરફ રિક્વરીની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 239 પોઝિટિવ કેસો નોંધાયા છે. ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ સાણંદ, બાવળા, તેમજ ધોળકાના કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. તે વિસ્તારના લોકો તેમજ રાષ્ટ્રરક્ષકોને મળ્યા હતા તેમજ તેઓએ સ્થિતિની સમીક્ષા કરી હતી.
Publish: Tue, 2 Jun 2020 (13:53 IST)
Updated: Tue, 2 Jun 2020 (13:58 IST)