રાજ્ય સરકારની કર્મચારીલક્ષી જાહેરાત, નર્સિંગ સ્ટાફ એલાઉન્સમાં કરાયો વધારો
Publish: Wed, 18 Dec 2019 (09:28 IST)
Updated: Wed, 18 Dec 2019 (10:27 IST)
કર્મચારીઓના હિતને વળેલી રાજ્ય સરકારે આજે વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યની હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને દવાખાનાઓમાં કામ કરતાં નર્સિગ સંવર્ગના કર્મચારીઓને મળતાં યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સમાં નોંધપાત્ર વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેનો અમલ ૧-૧-૨૦૨૦થી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, નર્સિગ ક્ષેત્રે કામ કરતાં નર્સિંગના ફેડરેશન દ્વારા મળેલ રજુઆતોને ધ્યાને લઈને રાજ્યની સંવેદનશીલ સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
જેનો ૨૦,૦૦૦ થી વધુ કર્મચારીઓને લાભ મળતો થશે. તેમણે ઉમેર્યું કે, નર્સિગ સંવર્ગના કર્મચારીઓને યુનિફોર્મ એલાઉન્સ પેટે હાલ પ્રતિમાસ રૂ.૩૫૦ આપવામાં આવે છે. જેના બદલે હવે, પ્રતિમાસ રૂ.૪૯૦ એટલે કે વાર્ષિક રૂ.૫૮૮૦ ચુકવાશે. એજ રીતે વોશિંગ એલાઉન્સ પેટે પ્રતિમાસ રૂ.૧૫૦ આપવામાં આવે છે. જેના બદલે હવે, પ્રતિમાસ રૂ.૨૧૦ એટલે કે વાર્ષિક રૂ.૨૫૨૦ ચુકવવામાં આવશે.
સરકારી હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને દવાખાનાઓમાં કામ કરતાં નર્સિંગના કર્મચારીઓ ફરજમાં હોય ત્યારે ચેપી દર્દીઓના સંપર્કમાં આવતા હોય છે. જેથી આ ચેપ તેઓને તથા અન્ય દર્દીઓને લાગે નહિં અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને સ્ફુર્તિ પુર્વક દર્દીઓની સેવા કરી તે જરૂરી હોય છે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Publish: Wed, 18 Dec 2019 (09:28 IST)
Updated: Wed, 18 Dec 2019 (10:27 IST)