શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 ઑક્ટોબર 2023 (14:04 IST)

એસટી બસોમાં મુસાફરો હવે UPIથી ટીકિટ લઈ શકશે, QR CODE આધારિત UPI ડિજિટલ પેમેન્ટ સેવા શરૂ

ગુજરાત એસટી નિગમની આજે 40 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી ડેપોમાંથી લીલીઝંડી બતાવીને નવી બસોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, એક વર્ષમાં એસટી વિભાગમાં નવી બસો સામેલ કરવામાં આવી છે.

દરેક બસમાં મુસાફરોને સારી સુવિધાઓ મળશે. આવનારા વર્ષમાં નવી બે હજાર જેટલી બસો લાવવામાં આવશે. એસટી નિગમની બસોમાં નવા બે હજાર UPI મશીન આપવામાં આવ્યાં છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ફરવા લાયક સ્થળો અને ધાર્મિક સ્થળો પર આગામી સમયમાં દિવાળીનો તહેવાર હોવાથી એસટી વિભાગ મુસાફરોની સુવિધાઓને લઈને તૈયાર થઈ ગયો છે. એસટી નિગમ દ્વારા ટુ સિટર બસ બનાવવામાં આવી છે.

જેમાં 40 બસ પૈકી અમદાવાદને 15 અને મહેસાણાને 7 બસો ફાળવવામાં આવી છે. તે ઉપરાંત વડોદરાને 10, ગોધરાને 6 અને ભરૂચને બે બસો ફાળવાઈ છે. હવે કંડક્ટર અને મુસાફરો વચ્ચે છુટ્ટા પૈસાને લઈને થતો કકળાટ બંધ થઈ જશે. આજથી એસટી બસમાં UPIથી પેમેન્ટ કરવાનો પ્રારંભ થઈ ગયો છે. હવેથી મુસાફરો બસમાં બેઠા પછી સ્વાઈપ કરીને પણ ટીકિટ લઈ શકશે. એસટી બસમાં ડિજિટલ પેમેન્ટ સુવિધા ઉભી કરતા કંડક્ટરોને પણ રાહત મળશે.