Khambhat Violence- ખંભાત તોફાન: અકબરપુરા વિસ્તારમાં 8000થી વધુ લોકો ઘર છોડીને રવાના થયા
Publish: Wed, 26 Feb 2020 (12:10 IST)Updated: Wed, 26 Feb 2020 (12:03 IST)
ખંભાતમાં કોમી તોફાનને પગલે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો. જોકે, બીજી તરફ બંધને પગલે ટાવર બજાર પર સ્વયંભૂ સમસ્ત હિદું સમાજના લોકો એકઠાં થયા હતા અને તેમણે જવાબદારો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બંધને પગલે વિસ્તારની શાળા-કોલેજો, સરકારી કચેરીઓ તેમજ બેંક પણ બંધ જેવી હાલતમાં રહી હતી. હિદુ સમાજ દ્વારા મંગળવારે બંધનું એલાન આપતા સાડા દસ કલાકે સ્વયંભૂ હિદુઓ ટાવર બજાર આગળ એકઠાં થયા હતા. તેમણે ધારાસભ્ય મયુર રાવલ તેમજ પાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાય વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન, ટોળાં છૂટ્યા બાદ તેમણે મોચીવાડમાં એક મુસ્લિમની લારીમાં તોડ-ફોડ કરી વાહનમાં આગચંપી કરી હતી.સંવેદનશીલ ગણાતા ખંભાતમાં વારંવાર ફાટી નીકળતાં કોમી તોફાનોએ પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે. જોકે સાથે સાથે શાંતી પ્રિય ખંભાતવાસીઓ પણ અવાર નવાર થતાં કોમી તોફાનોના પગલે ભયની લાગણી અનુભવી રહ્યાં છે. નવાબી નગરીમાં અવાર નવાર તોફાનો પાછળ કે઼ટલાક તત્વો મકાનો ખાલી કરાવવા માટે પણ તોફાનો કરાવતા હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. અકબરપુરા વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ પરિવારો એક બીજાની સાથે અથવા સામ સામે વર્ષો થી રહે છે. એટલુ જ નહિં ધંધા રોજગારમાં પણ એક બીજા સાથે સંકળાયેલા છે. અને વાડકી વ્યવહાર પણ એક બીજાના પરિવારો સાથે રહેતો હોય છે. જોકે આ સંજોગોમાં પણ અવાર નવાર કોમી તોફાનો માત્ર અકબરપવુરા વીસ્તારમાં જ થતાં હોવાના કારણે લોકો રાજકારણ પણ જવાબદાર હોવાની ચર્ચા કરી રહ્યા છે. પરંતુ સાથે સાથે એક કોમના લોકો મકાનો કબજે કરાવવા તોફાનો કરાવતાં હોવાની ચર્ચા વચ્ચે અશાંત ધારો આવી જતાં તોફાનોમાંથી મુક્તિ મળશે તેવી આશા જાગી છે.
Publish: Wed, 26 Feb 2020 (12:10 IST)Updated: Wed, 26 Feb 2020 (12:03 IST)