સોમનાથ મંદિરમાં ભક્તોએ વરસાવ્યો દાનનો વરસાદ, વાર્ષિક આવક 40 કરોડ રૂ.ને પાર
Publish: Fri, 6 Apr 2018 (17:45 IST)
Updated: Fri, 6 Apr 2018 (17:48 IST)
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ દેશના પહેલા જ્યોતિલિંગ સોમનાથ મહાદેવને આ વર્ષે જબરદસ્ત આવક થઈ છે અને આ આવકે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મળતી માહિતી પ્રમાણે સોમનાથ મહાદેવ મંદિરની વાર્ષિક આવક 40 કરોડ રૂ.ને પાર પહોંચી છે. સોમનાથ મહાદેવ મંદિરની ગત વર્ષ 35 કરોડ રૂ. જેટલી આવક હતી જે રેકોર્ડબ્રેક આવક હતી. જોકે આ વખતે આંકડો એના કરતા પણ વધી ગયો છે. આંકડાઓ પર નજર ફેરવીએ તો માત્ર શ્રાવણ માસમાં જ સોમનાથ મંદિરને સાડા ચાર કરોડ રૂ.ની જબરદસ્ત આવક થઈ હતી. મળેલા આંકડાઓ પર નજર કરીએ તો જાણવા મળે છે કે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લેતા ભાવિકોની સંખ્યામાં પણ વધારો છે. વર્ષે આ શ્રદ્ધાળુઓની સંખ્યા 90 લાખમાંથી વધીને 1 કરોડને પાર પહોંચી છે. આ સિવાય સોમનાથ મંદિરને અત્યાર સુધી 147 કિલો સોનુ અને 500 કિલો ચાંદી પણ દાન મળ્યું છે. યાત્રાધામ સોમનાથમાં દર્શનાર્થે આવતા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. GST અને નોટબંધી પછી પ્રથમ વખત સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સાગર દર્શનને બાદ કરતા તમામ અતિથિગૃહોના એ.સી. રૂમના ભાડામાં ઘટાડો કરાયો છે જ્યારે સાગરદર્શનમાં વધારો કરવામાં આવ્યો છે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે અતિથિગહોના એ.સી. રૂમના ભાડાંમાં 250થી 300 રૂપિયા સુધીનો ઘટાડો કરાયો છે. ટ્રસ્ટના નિર્ણયને યાત્રિકોએ ખુશખુશાલ થઈ વધાવી લીધો છે. ઉલ્લેખનીય છે કે GST લાગુ થયા પછી ટ્રસ્ટે તમામ અતિથિગૃહોના ભાડામાં વધારો કર્યો હતો.
Publish: Fri, 6 Apr 2018 (17:45 IST)
Updated: Fri, 6 Apr 2018 (17:48 IST)