ભાજપના ચાર ધારાસભ્યોના રાજીનામાં બાદ પેટાચૂંટણીની તૈયારીઓ શરુ કરાઈ
Publish: Fri, 7 Jun 2019 (11:40 IST)Updated: Fri, 7 Jun 2019 (11:41 IST)
ગુજરાતમાં અનામત આંદોલનની અસરને કારણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો સાથે પાતળી બહુમતી મળી હતી. જે બહુમતીમાં વધારો કરવા માટે ભાજપે કૉંગ્રેસના ધારાસભ્યો તોડવા માટે રાજકીય ખેલ શરૂ કર્યો હતો. જેમાં છેલ્લાં એક વર્ષમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 99થી 103 સુધી પહોંચી ગઈ હતી, પરંતુ ગુરુવારે ભાજપના વધુ ત્રણ ધારાસભ્યો અને ભાજપમાં જોડાયેલા અપક્ષ ધારાસભ્ય એમ ચાર ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણીમાં વિજયી થયા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામાં આપતાં ભાજપનું સંખ્યાબળ ફરી 100 પર થઈ ગઈ હતી. જેથી દોઢ વર્ષમાં ભાજપને કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો તોડવાના ખેલનો ખાસ કોઈ લાભ થયો નહીં અને ભાજપની સ્થિતિ જે હતી તે 100 પર આવી ગઈ હતી. ગુજરાત વિધાનસભાના કુલ સંખ્યાબળ 182માંથી 92 ધારાસભ્યોએ સરકાર રચવાનો દાવો થઈ શકે છે. ત્યારે ભાજપ પાસે હાલ સરકાર રચવાના દાવાના સંખ્યાબળ કરતા માત્ર આઠ ધારાસભ્યો વધુ છે. દરમિયાન વિવિધ વિધેયકો અને બજેટ પસાર કરવામાં ભાજપને બહુમતી પુરવાર કરવામાં ભારે કશ્મકશ કરવી પડે તેમ છે. રૂપાણી સરકાર સામે ભાજપમાં કેટલાક ધારાસભ્યો નારાજ હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે આ બજેટ સત્રમાં રૂપાણી સરકાર કસોટી થશે.
Publish: Fri, 7 Jun 2019 (11:40 IST)Updated: Fri, 7 Jun 2019 (11:41 IST)