નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ST બસ અડધી કે ખાલી ન લાવવા સૂચના
Publish: Sat, 22 Feb 2020 (12:38 IST)Updated: Sat, 22 Feb 2020 (12:47 IST)
‘નમસ્તે ટ્રમ્પ’કાર્યક્રમમાં લોકોને લાવવા માટે એસ ટી નિગમની 2200 જેટલી બસોને દોડાવવામાં આવનાર છે. લોકોની ભીડ જળવાઇ રહે તે માટે બસો ખાલી કે અડધી ભરેલી નહી લાવવાની સુપરવાઇઝરોને સૂચના અપાઇ છે. વિશ્વની મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તારીખ 24મી, સોમવારે ગુજરાતના મહેમાન બનશે. રોડ શો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચશે. જ્યાં ઉપસ્થિત હજ્જારો લોકો તેમનું અભિવાદન કરશે. સ્ટેડિયમના કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોને લાવવા માટે એસ ટી નિગમની 2200 બસો દોડાવવામાં આવનાર છે. ત્યારે બસોમાં લોકોને લાવવા તેમજ તેમને સ્ટેડિયમમાં નિયત સ્થળે બેસાડવા સહિતની કામગીરી સુપરવાઇઝરને સોંપવામાં આવી છે. સ્ટેડિયમમાં પહોંચનાર એસ ટી બસોમાંથી એકપણ બસ અડધી ભરેલી કે ખાલી નહી લઇ જવાની સુપરવાઇઝરોને સૂચના અપાઇ છે. ઉપરાંત બસમાં જ લોકોને નાસ્તો, પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે. સ્ટેડિયમમાં પ્રવેશ માટે પ્રવેશ પાસની સાથે વૈદ્યાનિક ઓળખકાર્ડ ફરજિયાત પાસે રાખવાની સુચના આપી છે.કાર્યક્રમ દરમિયાન લોકોને બિનજરૂરી આવન જાવન કે હરવા ફરવા દેવામાં આવશે નહી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાંતિ પૂર્વક બહાર નિકળવા અને ભીડ કે અવ્યવસ્થા સર્જાય નહી તેની તકેદારી રાખવાની પણ સૂચના સુપરવાઇઝરોને અપાઈ છે.ભીડ જળવાઇ રહે તે માટે બસો ખાલી કે અડધી ભરેલી નહી લાવવાની સુપરવાઇઝરોને સૂચના અપાઇ છે. સ્ટેડિયમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું અભિવાદન કરવા આવનારા લોકો કોઇ વસ્તુ લઇ જઇ શકશે નહી.
Publish: Sat, 22 Feb 2020 (12:38 IST)Updated: Sat, 22 Feb 2020 (12:47 IST)