શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :06 જુલાઈ 2024 , શનિવાર, 6 જુલાઈ 2024 (15:31 IST)

ગુજરાતમાંથી કોંગ્રેસ ઉભી થઈ હતી હવે અહીંથી જ નવસર્જન કરીશુંઃ રાહુલ ગાંધી

rahul gandhi
rahul gandhi
, સંસદમાં હિન્દુઓ પર આપેલા નિવેદન બાદ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ થઈ હતી. જેમાં બંને પક્ષે સામ સામે ફરિયાદો નોંધાઈ છે. પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી. જેમને આજે રાહુલ ગાંધી મળવા જવાના હતાં પણ પોલીસે ધરપકડ કરવામાં આવેલા કાર્યકરોના રિમાન્ડ આજે પૂરા થતા હોવાથી તેમને વહેલા કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખ્યા હતાં. રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલયથી આહ્વાન કર્યું હતું કે, ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતથી ઊભી થઈ હતી, કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું. 
 
ચૂંટણી ઢંઢેરો 1 લાખ ગુજરાતીઓએ બનાવવાનો છે
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તમે વિચારી શકો છો કે, અયોધ્યામાં ભાજપ હારશે? જે રીતે અયોધ્યામાં હાર્યા એ રીતે જ અહીં હારવા જઈ રહ્યા છે. તમારે ગુજરાતની જનતાને માત્ર એક જ વાત કહેવાની છે કે, તમારે ડરવાનું નથી, ડર્યા વિના ભાજપ સાથે લડી ગયા તો ખેડૂત હોય કે ગરીબ હોય કે વેપારી હોય. જો ગુજરાતની જનતા ડર્યા વિના લડી ગઈ તો ભાજપ સામે ઉભો રહી શકશે નહીં. હવે ગુજરાતને વિઝન આપવાનું તમારું કામ છે. આપણો ચૂંટણી ઢંઢેરો જોયો? ભાજપને હલાવી દીધો હતો એવો જ ચૂંટણી ઢંઢેરો 1 લાખ ગુજરાતીઓએ બનાવવાનો છે.
 
2022માં આપણે ભાજપ સામે લડ્યા જ નહોતા
તેમણે કહ્યું હતું કે, એવું પણ નથી કે ગુજરાત કોંગ્રેસમાં ખામી નથી. કહેવું પડશે. ખામી શું છે? કોંગ્રેસ કાર્યકરે મને કહ્યું કે રાહુલજી આ કોંગ્રેસ પાર્ટીમાં એક મુશ્કેલી છે. બે પ્રકારના ઘોડા હોય છે એક રેસનો ઘોડો હોય છે અને એક લગ્નનો ઘોડો હોય છે. કોંગ્રેસ શું કરે છે? રેસના ઘોડાને લગ્નમાં મોકલી દે છે અને લગ્નના ઘોડાને રેસમાં મોકલી દે છે. પરંતુ ગુજરાતમાં આપણે હવે જે રેસનો ઘોડો છે એને રેસમાં અને લગ્નના ઘોડાને લગ્નમાં રાખવાનો છે. રેસના ઘોડાને રેસમાં લગાવવો છે અને લગ્નનો ઘોડો છે એને વરઘોડામાં નચાવી દઈશું. આપણે પાછલી ચૂંટણીમાં તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કે આપણે ભાજપ સામે લડ્યા નહોતા. 2017ની ચૂંટણીમાં ત્રણ-ચાર મહિના જ લડ્યા અને પરિણામો જોયા હતા. 
 
ત્રણ વર્ષમાં ફિનિશ લાઈન છોડીને નીકળી જઈશું
રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, 2017માં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાએ બસમાં કહ્યું કે, રાહુલજી ગુજરાતમાં આપણને 40 સીટ મળી રહી છે પણ મેં કીધું કે આપણે ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ. પરંતુ 16 સીટથી ચૂંટણી હારી ગયા. ત્રણ મહિનામાં ફિનિશ લાઈન સુધી પહોંચી ગયા હતા. પરંતુ હવે ત્રણ વર્ષમાં ફિનિશ લાઈન છોડીને નીકળી જઈશું. 30 વર્ષ થઈ ગયા, હું તમને જણાવું છું માનો કે ન માનો 50 ટકા જ માને છે અને 50 ટકા કહી રહ્યા છે કે નહીં થાય. જે માને છે એ 50 ટકાને જ કહું છું કે તમે લડી જાવ અને 50 ટકા બેઠા છે એમને તેમનું માઇન્ડ બદલી દો, નાવ પાર લાગી જશે અને સરકાર બની જશે. 
 
આપણી ઓફિસ તોડી એ રીતે જ એમની સરકાર તોડીશું
રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતમાં જીતશે અને ગુજરાતમાંથી જ નવી કોંગ્રેસ પાર્ટી બનશે. કોંગ્રેસ પાર્ટી બની ક્યાંથી? આપણા સૌથી મોટા નેતા જેમણે રસ્તો બતાવ્યો હતો. તમે શું વિચારો છો અંગ્રેજો હતા ત્યારે ડર નહોતો. તે સમયે ગુજરાતના મહાત્મા ગાંધીએ દેશને કહ્યું કે ડરો નહીં, ડરાઓ નહીં. આજે કોંગ્રેસ પાર્ટી છે તો તે વિચારધારા ગુજરાતથી શરૂ થઈ હતી, એટલે જ્યારે તેમણે અમારી ઓફિસ તોડી ત્યારે મેં વિચાર્યું તક મળી ગઈ હવે તેને પાઠ ભણાવીશું. જેવી રીતે આપણી ઓફિસ તોડી એ રીતે જ એમની સરકાર તોડવા જઈ રહ્યા છીએ.