દરેક ચાર રસ્તે ટ્રાફિક જામ કેમ ? સરકારને હાઈકોર્ટનો સવાલ
Publish: Fri, 19 Jan 2018 (11:46 IST)Updated: Fri, 19 Jan 2018 (11:52 IST)
સરકાર પર ક્રોધે ભરાયેલી ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટ્રાફિકના ખરાબ મેનેજમેન્ટ માટે ઉધડો લઈ લીધો હતો. ખાસ કરીને ચાર રસ્તે ટ્રાફિક મેનેજમેન્ટ ખરાબ હોવાની હાઈકોર્ટે ટકોર કરી હતી. કોર્ટે કહ્યું, બધા જ શહેરોમાં ચાર રસ્તા પર ટ્રાફિક જામ હોય છે. ટ્રાફિક પોલીસની હાજરીની ભાગ્યે જ કોઈ અસર પડે છે અને આ સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. કોર્ટે કહ્યું કે આડેધડ પાર્કિંગને કારણે બે-ત્રણ લેનના રોડ પણ સિંગલ લેન રોડ બની જાય છે. કોર્ટે સૂચના આપી કે રસ્તા પર નો પાર્કિંગ ઝોન બનવા જોઈએ જેથી ટ્રાફિક કોઈપણ સમસ્યા વિના આગળ વધતો રહે. રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે તેઓ જે તે ડિપાર્ટમેન્ટને શામેલ કરીને ટ્રાફિકની સમસ્યાનો નિકાલ લાવી દેશે. કોર્ટે સમયસર રોડ રિપેર ન કરવા બદલ પણ કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે અને રોડ રિપેરિંગ પર કોર્પોરેશને આપેલો રિપોર્ટ પણ રિજેક્ટ કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે રિપોર્ટમાં દર્શાવેલી દરેક વિગત જૂઠ્ઠી છે.2017માં ચોમાસા પછી થયેલી રોડની હાલત અંગે હાઈકોર્ટમાં થયેલી PIL અંગે સુનવણીમાં જસ્ટિસ એમ આર શાહ અને ન્યયમૂર્તિ બિરેન વૈષ્ણવે જણાવ્યું, રિપોર્ટમાં જે વિગતો દર્શાવાઈ એ મુજબ રોડના રિપેરિંગ કામમાં બહુ જ થોડી કે નહિંવત પ્રગતિ થઈ છે. હાઈકોર્ટે ઈશારો પણ કર્યો કે FSL દ્વારા તૈયાર કરાયેલા ડેમેજ રોડના રિપોર્ટ્સમાં ગોટાળાની શક્યતા છે.કોર્ટે તેના આદેશને ગંભીરતાથી ન લેવા બદલ પણ કોર્પોરેશનનો ઉધડો લીધો હતો. કોર્ટે કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર કાઉન્લને જણાવ્યું, તમે માત્ર કોર્ટની સુનવણી હોય ત્યારે જ ગંભીર થાય છે. અમે તમને બરાબર જગ્યા નથી આપી? કોર્ટે મ્યુનિસિપલ કમિશનરને પણ રસ્તાનો ઝોન પ્રમાણે રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતુ.
Publish: Fri, 19 Jan 2018 (11:46 IST)Updated: Fri, 19 Jan 2018 (11:52 IST)