જામનગર: "કામમાં મોડું નહીં ચાલે", મંત્રી રિવાબા જાડેજાનું કડક વલણ; કોન્ટ્રાક્ટર પાસેથી લીધું 1 વર્ષમાં રોડ પૂર્ણ કરવાનું વચન
જામનગરમાં વિકાસકાર્યોને વેગ આપવા માટે રાજ્યમંત્રી રિવાબા જાડેજા હવે 'એક્શન મોડ'માં જોવા મળી રહ્યા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નિર્ધારિત રૂ. 15.02 કરોડના સિક્સ લેન રોડના ખાતમુહૂર્ત પ્રસંગે તેમણે કોન્ટ્રાક્ટરને ભરી સભામાં શિખામણ સાથે કડક સૂચના આપી હતી.
શું છે પ્રોજેક્ટ જાણો
- પ્રોજેક્ટ: ઓશવાળ સેન્ટર (પાયલોટ બંગલો) થી દિગ્વિજય પ્લોટ દિગ્જામ સર્કલ સુધી સિક્સ લેન વાઈડનિંગ.
- ખર્ચ: અંદાજે રૂ. 15.02 કરોડ.
- સમયમર્યાદા: 1 અઠવાડિયામાં કામ શરૂ કરી, 1 વર્ષમાં પૂર્ણ કરવાની ખાતરી.
"ક્વોલિટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં": રિવાબા જાડેજા
ખાતમુહૂર્ત બાદ રિવાબા જાડેજાએ કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જનતાના કામમાં ગુણવત્તા સૌથી મહત્વની છે. તેમણે માત્ર સૂચના જ નહીં, પણ કોન્ટ્રાક્ટર પાસે જાહેરમાં વચન લેવડાવ્યું હતું કે કામ નિર્ધારિત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે.
"એક અઠવાડિયામાં કામ શરૂ થઈ જવું જોઈએ અને એક વર્ષમાં પૂરું થવું જોઈએ. ક્વોલિટીમાં કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં." - રિવાબા જાડેજા (રાજ્યમંત્રી)
સ્થાનિકોમાં ખુશીની લહેર
શહેરના ટ્રાફિક દબાણને ઘટાડવા માટે આ સિક્સ લેન રોડ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. મંત્રીના આવા કડક અને સ્પષ્ટ વલણને જોઈને જામનગરના નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે જો લોકપ્રતિનિધિ આટલા જાગૃત હોય તો સરકારી કામોમાં ભ્રષ્ટાચાર અને વિલંબ પર ચોક્કસ રોક લાગશે