રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુદરતનું રૌદ્ર સ્વરૂપ: મિનિ ટોર્નેડો જેવી રચનાથી ભયનો માહોલ (Video)
Funnel Cloud
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બુધવારે સાંજે કુદરતનું એક અતિ ભયાનક અને અણધાર્યું સ્વરૂપ જોવા મળ્યું હતું. સાંજે લગભગ 7:10 વાગ્યે અચાનક વાતાવરણ પલટાયું હતું અને આકાશમાં વાદળોથી ગૂંથાયેલી દોરી જેવી અદ્દભુત આકૃતિ સીધી જમીન તરફ ઉતરતી દેખાઈ હતી. આ દૃશ્ય જોતા જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેના કારણે વાહનચાલકોને પોતાના વાહનો હાઈવે પર જ થંભાવી દેવાની ફરજ પડી હતી.
ભારે પવન અને કરા સાથે ત્રાટક્યું વાવાઝોડું, પેટ્રોલ પંપ વિસ્તારમાં ભારે તારાજી
આ મિનિ ટોર્નેડો (વાવાઝોડા) દરમિયાન પવનની ગતિ એટલી તીવ્ર હતી કે હાઈવેના ડિવાઈડરમાં લગાવેલા છોડ અને આસપાસની હલકી વસ્તુઓ હવામાં ઉખડીને દૂર ફેંકાઈ ગઈ હતી. દૃશ્યતા (વિઝિબિલિટી) એકાએક ઘટી જતાં હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. આ ચક્રવાતી રચના ધીમે-ધીમે આગળ વધીને નજીકના પેટ્રોલ પંપ વિસ્તાર તરફ ગઈ હતી, જ્યાં ભારે પવન અને મસમોટા કરા પડવાને કારણે મોટી તારાજી સર્જાઈ હતી. કુદરતના આ પ્રકોપ અને સતત વીજળીના કડાકાથી ડરીને લોકો સુરક્ષિત આશરો શોધવા દોડધામ કરવા લાગ્યા હતા.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુદરતનું રૌદ્ર સ્વરૂપ: મિનિ ટોર્નેડો જેવી રચનાથી ભયનો માહોલ #rajkot @webduniagujarati pic.twitter.com/JKtuWtX8DR
— Webdunia Gujarati (@Webdunia_Guj) June 4, 2026
હવામાન વિભાગનો ખુલાસો: આ વાવાઝોડું નહીં, પણ ઘાતક 'ફનલ ક્લાઉડ' હતું
આ અદ્દભુત અને ડરામણી ઘટના અંગે હવામાન વિભાગના અધિકારીઓએ મહત્વનો ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, હાલ ચોમાસા પૂર્વેની (પ્રિ-મોન્સૂન) પ્રક્રિયા ચાલી રહી હોવાથી સ્થાનિક સ્તરે 'ક્યુમ્યુલોનીમ્બસ ક્લાઉડ' (CB Clouds) નું ફોર્મેશન થયું હતું. આ પ્રકારના વાદળો જમીનથી માત્ર 1000 થી 1500 મીટરની ઓછી ઊંચાઈ પર હોવાથી તેનો એક ભાગ જમીન તરફ ખેંચાતો દેખાય છે, જેને હવામાન વિજ્ઞાનની ભાષામાં 'ફનલ ક્લાઉડ' કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં લોકો તેને મિનિ ટોર્નેડો તરીકે ઓળખે છે.
ફનલ ક્લાઉડ જમીનને અડકે તો સર્જાઈ શકે છે મોટી જાનહાનિ
હવામાન નિષ્ણાતોએ વધુમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, આ ફનલ ક્લાઉડ દેખાવામાં ભલે અદ્દભુત લાગતું હોય, પરંતુ તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ ક્લાઉડ જે જગ્યાએ સીધું જમીનને સ્પર્શે છે, ત્યાં ભારે વિનાશ, નુકસાન અને જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે. તીવ્ર પવન, વીજળીના કડાકા અને કરા પડવાની આવી પરિસ્થિતિ દરમિયાન લોકોને ખુલ્લામાં ન રહેવા અને તાત્કાલિક કોઈ પાકા મકાન કે સલામત સ્થળે આશ્રય લઈ લેવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સલાહ આપવામાં આવી છે.
