ડિઝલ બચશે અને ઝડપ પણ મળશેઃ ગુજરાતમાં આગામી વર્ષોમાં ટ્રેનો વીજ સપ્લાયથી દોડાવાશે
Publish: Mon, 25 Nov 2019 (12:07 IST)Updated: Mon, 25 Nov 2019 (12:10 IST)
રેલવે વિભાગે ડીઝલ એન્જિન બંધ કરી તેના સ્થાને ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. ગુજરાતમાં પણ તમામ રેલવે રૂટનું ઝડપી ઇલેક્ટ્રિફિકેશન કરાઈ રહ્યું છે, જેના પગલે 2021ના અંત સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાં ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ શરૂ કરી દેવાશે. આ વિશે વધુ માહિતી આપતા રેલવે અધિકારીએ જણાવ્યું કે, વાયુ પ્રદૂષણ ઘટાડવા ગુજરાત સહિત દેશભરમાં ડીઝલ એન્જિનનું સંચાલન બંધ કરવાની જાહેરાત કરી છે. ડીઝલ એન્જિન બંધ કરાતા ડીઝલનો ખર્ચ બચવાની સાથે ટ્રેનો ઝડપી દોડશે. હાલ ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડતી તમામ ટ્રેનો ઈલેક્ટ્રિક એન્જિનથી દોડી રહી છે, જેના પગલે આ રૂટની ટ્રેનો 80થી 130 કિલોમીટરની ઝડપે દોડી રહી છે.તેમણે જણાવ્યું કે, પશ્ચિમ રેલવેમાં 1500 કિલોમીટર લાઈનનું ઇલેક્ટ્રિફિકેશન કામ પૂર્ણ કરી દેવાયું છે, જેમાં અમદાવાદ - મુંબઈ રૂટ ઉપરાંત અમદાવાદ-દિલ્હી રૂટ પર પણ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ચાલી રહી છે. તેમાં અમદાવાદથી પાલનપુર સુધીની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.
Publish: Mon, 25 Nov 2019 (12:07 IST)Updated: Mon, 25 Nov 2019 (12:10 IST)