1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Bullet Train Project

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી તેજ: કાલુપુર ઓવરબ્રિજ 4 દિવસ માટે રાત્રિના સમયે બંધ રહેશે

Ahmedabad Traffic
kalupur bridge
અમદાવાદમાં ભારત સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હવે વધુ તેજ બની છે. સાબરમતીથી વટવા સુધીના રૂટ પર સેગમેન્ટ લગાવવાની કામગીરી દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન કંપની દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કાલુપુર બ્રિજ (મનુભાઈ પરમાર ઓવરબ્રિજ) પર વિશેષ સેગમેન્ટ ચઢાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે વાહનચાલકોની સુવિધા માટે ખાસ ટ્રાફિક એડવાઇઝરી અને ડાયવર્ઝન જાહેર કર્યું છે.
 
ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 22  મે (શુક્રવાર)થી 25  મે (સોમવાર) સુધી દરરોજ રાત્રે 12  વાગ્યાથી સવારે 6  વાગ્યા સુધી આ કામગીરી કરવામાં આવશે. આ સમય દરમિયાન કાલુપુર સર્કલ બ્રિજના છેડેથી કાલુપુર બ્રિજ પર આવેલા નાના સર્કલ સુધીનો આશરે 500  મીટરનો રોડ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, રાહતની વાત એ છે કે નરોડા GCS હોસ્પિટલ રોડ તરફથી સરસપુર અને ગોમતીપુર જવા-આવવા માટે વાહનચાલકો કાલુપુર બ્રિજનો ઉપયોગ કરી શકશે.

 
રાત્રિના સમયે બંધ રહેનારા આ માર્ગને બદલે નરોડા અને સરસપુરથી કાલુપુર સર્કલ જવા ઈચ્છતા વાહનચાલકો સરસપુર સર્કલથી નૂતન મિલ રોડ, ડૉ. આંબેડકર ફ્લાય ઓવર, સિવિલ હોસ્પિટલ અને બાબુ જગજીવનરામ બ્રિજ થઈ ઈદગાહ રોડનો ઉપયોગ કરી શકશે. જ્યારે રખિયાલ અને ગોમતીપુર તરફથી આવતો ટ્રાફિક ગુરુદ્વારા રોડ, ચારતોડા કબ્રસ્તાન, મુર્ગા સર્કલ અને અનુપમ બ્રિજ થઈ સારંગપુર સર્કલ તરફથી કાલુપુર જઈ શકશે.
 
બીજી તરફ, રિલીફ રોડ અને દિલ્હી દરવાજાથી નરોડા કે સરસપુર જવા માંગતા વાહનચાલકો કાલુપુર સર્કલથી ફ્રૂટ માર્કેટ, પાંચકુવા, બાબુ જગજીવનરામ બ્રિજ અને અસારવા સિવિલ રોડ થઈને અવરજવર કરી શકશે. આ ઉપરાંત આસ્ટોડિયા અને રાયપુર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ, વાણિજ્ય ભવન અને અનુપમ બ્રિજ મારફતે રખિયાલ તરફ જઈ શકશે. બુલેટ ટ્રેનની કામગીરીને લીધે ટ્રાફિકનું દબાણ વધી શકે તેમ હોવાથી નાગરિકોને અગાઉથી આયોજન કરવા અપીલ કરાઈ છે.