નેપાળમાં પૂરથી મોતનો આંકડો 600 ની નજીક, 320 ભારતીયો ગુમ, કૃત્રિમ તળાવથી ઉભું થયું નવું સંકટ
nepal
નેપાળમાં અચાનક આવેલા પૂરથી મૃત્યુઆંક લગભગ 600 સુધી પહોંચી ગયો છે. આ વિનાશક પૂરને કારણે લગભગ 2,000 લોકોનો સંપર્ક હજુ પણ થયો નથી. ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. લગભગ 320 ભારતીય નાગરિકો હજુ પણ ગુમ છે, અને તેમનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ગુમ થયેલા ભારતીયોમાંથી ઘણા કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા યાત્રાળુઓ હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન, નેપાળમાં એક નવો ખતરો ઉભો થયો છે. ચીન-નેપાળ સરહદ પર તિબેટના ડોભાલ ક્ષેત્રમાં એક કૃત્રિમ તળાવ સતત છલકાઈ રહ્યું હોવાના અહેવાલ છે. સેના અને નેપાળ પોલીસ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. સેનાએ રાસુવા જિલ્લામાં ઉપલા ત્રિશુલી-1 હાઇડ્રોપ્રોજેક્ટ ખાતે એક સુરંગમાં ફસાયેલા લોકોને બચાવ્યા છે.
ભોટે કોશી નદીનું જળસ્તર વધ્યું
ચીન-નેપાળ સરહદ નજીક તિબેટના ડોભાલ ક્ષેત્રમાં કૃત્રિમ તળાવ છલકાઈ રહ્યું હોવાના અહેવાલ છે. પરિણામે, ભોટે કોશી નદીનું પાણીનું સ્તર વધ્યું છે, અને નદી કિનારે રહેતા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તેમના ઘર ખાલી કરીને સલામત સ્થળોએ જવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં, ત્રિશુલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા 63 કર્મચારીઓ સહિત 84 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમિલનાડુના 21 યાત્રાળુઓને પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત રીતે ભારત પહોંચાડવામાં આવ્યા છે. દરમિયાન, ચીનની સરહદ પર ફસાયેલા આશરે 400 ભારતીય નાગરિકો સુરક્ષિત હોવાનું જાણવા મળે છે.
LIVE UPDATES : NEPAL FLASH FLOOD LIVE UPDATES
ટનલમાં ફંસાયેલા લોકોના બચાવ માટે ભારતે મોકલી રેસ્ક્યુ ટીમ
નેતાલ હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ભારતની મદદ ભોટે કોશી નદીમાં આવેલા પૂરને કારણે નેપાળના રાસુવા વિસ્તારમાં આવેલ હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ટનલમાં અનેક કર્મચારીઓ ફસાઈ ગયા છે. તેઓને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારતે ખાસ ટેકનિકલ સામગ્રી અને બચાવ ટુકડીઓ નેપાળ મોકલી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની માહિતી આપી હતી.
ચીનમાં માહિતી નિયંત્રણ અને નુકસાનનો અંદાજ
'ધ ગાર્ડિયન'ના અહેવાલ મુજબ, તિબેટ સરહદે ચીનની બાજુએ પૂરથી થયેલા નુકસાનની સાચી માહિતી બહાર આવી રહી નથી, કારણ કે ચીન સરકારે માહિતી પર કડક નિયંત્રણ મૂક્યું છે. નેપાળમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે તેની સરખામણીએ ચીનમાં બહુ ઓછા મૃત્યુ નોંધાયા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શોધખોળ ઝડપી કરવાનો આદેશ આપ્યો છે અને પ્રીમિયર લી કિઆંગને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલ્યા છે.
વિદેશી સહાય ન સ્વીકારવાની વાતો ભ્રામક - બલેન્દ્ર શાહ
નેપાળના વડાપ્રધાન બલેન્દ્ર શાહે વિદેશી સહાય ન સ્વીકારવાની વાતોને ભ્રામક ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી કે રાહત અને બચાવ કાર્ય માટે ભારત, ચીન અને અન્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે.
નેપાળમાં રાહત અને બચાવ કામગીરીના આંકડા
નેપાળમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે 15,431 સુરક્ષાકર્મીઓને શોધ અને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 4,451 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. બચાવ કામગીરીની સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.
ભારતીય નાગરિકોની સ્થિતિ અંગે વિદેશ મંત્રાલયનો અહેવાલ
ભારતના વિદેશ મંત્રાલયે 'X' પર માહિતી આપી કે 320 ભારતીય નાગરિકો હજુ પણ ગુમ છે અથવા સંપર્ક વિહોણા છે. જોકે, 84 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં તામિલનાડુના 21 તીર્થયાત્રીઓ અને ત્રિશુલી-1 પ્રોજેક્ટના 63 કર્મચારીઓ સામેલ છે. આ સિવાય ચીનમાં ફસાયેલા લગભગ 400 ભારતીયો પણ સુરક્ષિત છે અને ભારત સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
MEA Spokesperson Randhir Jaiswal tweets update on Indian nationals impacted by the floods in Nepal pic.twitter.com/TClD5XXYon
— ANI (@ANI) August 29, 2026
