ખાણીપીણીની રેસ્ટોરાં અને હોટેલને લાઈસન્સની જફામાંથી મુક્તિ
Publish: Tue, 27 Mar 2018 (12:17 IST)Updated: Tue, 27 Mar 2018 (12:23 IST)
રેસિડેન્ટની સુવિધા સિવાયની હોટેલ અને રેસ્ટોરાંને પોલીસ પાસેથી લાઈસન્સ લેવાની જફામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયે આજે નિર્ણય લીધો છે. આજે વિધાનસભામાં આ નિર્ણયની જાહેરાત ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયથી રાજ્યની ૬૦૦૦૦ જેટલી રેસ્ટોરાં અને હોટેલના માલિકોએ રાહતનો દમ લીધો છે. ખાણી પીણીનો જ ધંધો કરનારાઓને પોલીસ લાઈસન્સ લેવાની ફરજ પાડવામાં આવતી હોવાથી પોલીસ તરફથી તેમના પર બિનજરૃરી આર્થિક વહેવાર કરવા માટે દબાણ લાવવામાં આવતું હોવાની ફરિયાદ હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગની હતી. આ ફરિયાદ અંગે ગુજરાત ચેમ્બરે રજૂઆત કરી હતી. પરિણામે આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેમાં રહેવાની સુવિધા ધરાવતી રેસ્ટોરાંનો સમાવેશ કરવામાં આવ્યો નથી. રેસ્ટોરાં અને હોટેલ માલિકોને આ જફામાંથી મુક્તિ આપવા માટે ગુજરાત પોલીસ (સુધારા) વિધેયક ૨૦૧૮ ગૃહમાં રજૂ કરતાં ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ (૧)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ રેસ્ટોરાંનો વ્યવસાય શરૃ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તો પોલીસ કમિશનર પાસેથી લાઈસન્સ લેવાની અને સમયાંતરે તે રિન્યુ કરવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવેલી હતી. આ કાર્યવાહી કરવામાં રેસ્ટોરાં-હોટેલ માલિકોને તકલીફ પડતી હોવાથી હોટેલ એન્ડ રેસ્ટોરા ંએસોસિયેશનને ગુજરાત ચેમ્બરના માધ્યમથી આ રજૂઆત કરી હતી. તેથી પોલીસ કચેરીમાંથી લાઈસન્સ રિન્યુ કરાવવાની જફામાંથી મુક્તિ અપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે જે હોટેલમાં રહેવાનો ઉતારો આપતા રૃમ્સની સેવાઓ આપવામાં આવતી હશે તે હોટેલ અને રેસ્ટોરાં માટે પોલીસ કમિશનરની કચેરી પાસે તેમના લાઈસન્સ રિન્યુ કરાવવા ફરજિયાત રહેશે. ત્રાસવાદી પ્રવૃત્તિને અંકુશમાં રાખવાના ઇરાદાથી રહેવાની સુવિધાઓ ધરાવતી હોટેલોને પોલીસ પાસે લાઈસન્સ રિન્યુ કરાવવાની જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી નથી.
Publish: Tue, 27 Mar 2018 (12:17 IST)Updated: Tue, 27 Mar 2018 (12:23 IST)