કસરત કે Yog કરતા પહેલા તેના વિશેની ગેરસમજ જાણી લો
માન્યતાઓ તો મનુષ્યોના મનમાં બહુ પહેલેથી ઊંડાણપૂર્વક જોડાયેલી રહી છે, પછી વિષય ભલે ગમે તે હોય. અનેક માન્યતાઓ તો આપણે બાળપણથી સાંભળી સાંભળીને જ મોટા થયા હોઇએ છીએ જે સમય સાથે આપણા મગજમાં મજબૂત થતી જાય છે. આપણા જીવન માટે બહુ જરૂરી એવી 'કસરત' સાથે પણ અનેક માન્યતાઓ જોડાયેલી છે. જાણીએ આવી માન્યતાઓ અને તેને લગતા સત્યો વિષે...
વધારે કસરત કરવાથી કેલરી વધુ બળે છે અને લાંબા સમય સુધી કસરત કરવાથી વધુ ચરબી બર્ન થાય છે, આ સૌથી મોટું મિથક છે જે મોટાભાગના લોકોમાં વ્યાપેલું છે. કોઇપણ કસરતનું ફોકસ એ વાત પર હોવું જોઇએ કે તે કરવાથી નિયત સમયમાં તમે કેટલી ચરબી બાળી શકો છો. વધારે હેવી કસરતને તમે લાંબો સમય સુધી નથી કરી શકતા, માટે સુરક્ષિત માર્ગ એ જ છે કે તમે કસરતનો ધીમે-ધીમે આરંભ કરો બાદમાં તેને ધીમે-ધીમે વધારતા જાઓ. એકસાથે વધુ ચરબી બાળવાની ચાહમાં પહેલા જ પ્રયાસે વધારે પડતી કસરત ન કરશો.
યોગ સૌથી સુરક્ષિત કસરત છે, આ માન્યતા સાવ ખોટી છે. યોગ કરતા વધુ સારું બીજું કંઇ નથી પણ તેમાંની કેટલીક કસરતો કરતી વખતે માનસિક અને શારીરિક ધ્યાન કરવું બહુ જરૂરી હોય છે. માટે સુરક્ષાને ધ્યાનમાં રાખતા વધુ સારું પરિણામ મેળવવા માટે કોઇ યોગ્ય યોગ નિષ્ણાતની સલાહ વગર યોગ ન કરવા.
માત્ર કસરત જ વજન નિયંત્રિત કરે છે, આ માન્યતા પણ એક ભ્રમ છે. વજન ઓછું થવું કે વધવું એક નહીં ઘણી બાબતો પર નિર્ભર કરે છે. તેના માટે જિનેટિક કારણો સિવાય તમારું ભોજન, જીવનશૈલી પણ મહત્વ ધરાવે છે. માટે માત્ર કસરત કરીને તમારું વજન સંપૂર્ણપણે આદર્શ થઇ જશે તે જરૂરી નથી. નિયમિત શારીરિક શ્રમ કરીને પણ તમે લાંબા સમય સુધી વજનને નિયંત્રણમાં રાખી શકો છો.
ફિટ રહેવા માટે જિમમાં જવું. આ જરૂરી નથી. સંશોધનો જણાવે છે કે જે લોકો ઘરે ફિટ થવા માટેના પ્રોગ્રામ ફોલો કરે છે તેમાંના ઘણાં સારી રીતે પોતાની જાતને ફિટ રાખી શકે છે. સવાલ માત્ર એ બાબતનો છે કે તમે જે કંઇ કરો તે નિયમિત રૂપે કરો.