શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 જુલાઈ 2023 (15:08 IST)

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મેલેરીયાથી એક પણ મોત નહીં, 4 વર્ષમાં 5.90 કરોડ બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાયા

- ડેગન્યુ તપાસ માટે 3.37 લાખ અને ચીકનગુનિયાની તપાસ માટે 67 હજાર સિરમ સેમ્પલ તપાસવામા આવ્યા
- છેલ્લા ચાર વર્ષમાં ડેન્ગ્યુના 37,684 અને ચીકનગુનિયાના કુલ 6838 જેટલા પોઝીટીવ કેસ નોંધાયા
 
Not a single death from malaria- ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ (VBD) નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષની કામગીરીની સમીક્ષા કરીએ તો વર્ષ 2019 થી વર્ષ 2022 માં મેલેરીયા તપાસ માટે કુલ 5.90 કરોડ બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 28,360 જેટલા દર્દીઓ મેલેરીયાગ્રસ્ત નોંધાયા હતા. વર્ષ 2019 માં 1.64 કરોડ પરીક્ષણમાં 13,883 કેસ, વર્ષ 2020માં 1.30 કરોડની સામે 4771 , વર્ષ 2021માં 1.42 કરોડની સામે 4921 અને ગત વર્ષ 2022માં 1.51 કરોડ પરિક્ષણ કરતા 4785 મેલેરિયાના કેસો નોંધાયા હતા. વર્ષ 2019 અને 2020માં કુલ બે મરણ નોંધાયા જ્યારે છેલ્લા બે વર્ષમાં મેલેરીયાથી એક પણ મોત નોંધાયુ નથી. 
 
છેલ્લા ચાર વર્ષમાં ડેન્ગ્યૂના 3.37 લાખ સેમ્પલ તપાસાયા
ડેન્ગયુની તપાસ માટે છેલ્લા ચાર વર્ષમાં કુલ 3.37 લાખ અને ચીકનગુનિયાની તપાસ માટે કુલ 67 હજાર સિરમ સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ડેન્ગ્યુના 37,684 અને ચીકનગુનિયાના કુલ 6838 જેટલા પોઝીટીવ કેસ નોંધાયા હતા.રાજ્યમા સરેરાશ 84 હજાર ડેન્ગ્યુ તપાસ અને 17 હજાર જેવી ચિકનગુનિયા રોગની તપાસ કરવામાં આવે છેય વર્ષ 2021ની સરખામણીમાં વર્ષ 2022માં મેલેરિયાના કેસોમાં 2.76%, ડેન્ગ્યુના કેસોમાં 39.1% જ્યારે ચીકનગુનિયાના કેસોમાં 74.1 ટકા જેટલો મહત્વનો ઘટાડો નોંધાયો છે. 
 
2.49 લાખ લોહીના નમૂના લેવામાં આવ્યા
વાહક જન્ય રોગ નિયંત્રણ સંદર્ભે વર્ષ 2023ની કામગીરીનો ચિતાર જોઇએ તો રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી માટેના અભિયાનના ભાગરૂપે હાઉસ ટુ હાઉસ સર્વેમાં તાવ સર્વેલન્સ અને સોર્સ રિડક્શન, પોરાનાશક કામગીરી તથા પ્રચાર-પ્રસાર જેવી પ્રવૃતિઓના બે રાઉન્ડમાં તા. 19 જુનથી 29 જુન સુધીના પ્રથમ રાઉન્ડમાં 75 ટકા વસ્તીને આવરી લઇને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે જુલાઇ માસમાં તા. 10 થી 19 દરમિયાન  બીજો રાઉન્ડ હાથ ધરવાનું આયોજન કરાયું છે. આ વર્ષે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન 2.49 લાખ લોહીના નમૂના લેવામાં આવ્યા છે જેમાં 12 પોઝીટીવ કેસોમાં સંપૂર્ણપણે સારવાર પૂરી પડાઇ છે. 
 
1.80 લાખ ઘરોમાં ફોગીંગની કામગીરી કરાઇ
સર્વેલન્સ દરમિયાન જોવા મળેલ 4,81,186 મચ્છર ઉત્પતિ સ્થાનોનો સફળતાપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. વધુમાં લાર્વીસાઇડના ઉપયોગથી મચ્છર ઉત્પતિ સ્થાનો પણ નાબોદ કરાયા છે તથા 1.80 લાખ ઘરોમાં ફોગીંગની કામગીરી કરાઇ છે. વર્ષ 2023 દરમિયાન રાજ્યના 21 જિલ્લાઓની મેલેરિયા માટે જોખમી 319 ગામોમાં જંતુનાશક દવા છંટકાવ નિયત બે રાઉન્ડ હેઠળ આવરી લેવાનું આયોજન છે. જેમાં પ્રથમ રાઉન્ડની કામગીરી પૂર્ણ કરાઇ છે બીજા રાઉન્ડની શરૂઆત 1લી ઓગષ્ટથી હાથ ધરાશે. 
રાજ્યમાં વાહક જન્ય રોગ અટકાયતની કામગીરી માટે 444 વેક્ટર કંટ્રોલ ટીમ ફાળવવામાં આવી છે.રાજ્યમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના 42 જેટલા કેન્દ્રો કાર્યાન્વિત કરાયા છે.