‘મહા’ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધીનો દરિયા કિનારો ખાલી કરાવાયો
Publish: Wed, 6 Nov 2019 (12:16 IST)Updated: Wed, 6 Nov 2019 (12:18 IST)
અરબી સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડા સામે એલર્ટ રહેવા રાજ્યનું વહિવટી તંત્ર યુદ્ધનાં ધોરણે કામે લાગી ગયું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો આખો સમુદ્રતટ સંલગ્ન જિલ્લાનાં વહિવટીતંત્રએ ખાલી કરાવ્યો હતો. દરિયા કિનારાના તમામ શહેરોમાં એનડીઆરએફની ટીમો ગોઠવી દેવામાં આવી છે જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. પોરબંદરની આસપાસમાં 5,000 લોકોનું 15 આશ્રય સ્થળોએ સ્થળાંતર કરાયું છે. ખંભાતના કિનારેથી પણ લોકોનું સ્થળાંતર કરાવાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ-વાપી-દમણ, ઓલપાડ સહિત 100થી વધુ ગામોના લોકોને પણ તંત્ર દ્વારા સાબદા રહેવા તાકિદ કરાઈ છે. પ્રતિ કલાક અંદાજીત 50 કિ.મી.ની ઝડપે દરિયાકાંઠાના વિસ્તારમાં પવન ફૂંકાવાની અને વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત સમુદ્રમાં ગયેલી મોટા ભાગની બોટો પરત ફરી છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે.વાવાઝોડાને કારણે સુરત મહાનગર પાલિકા દ્વારા ડુમસના દરિયા કિનારે બેનરો પણ લગાવવામાં આવ્યા છે, આમ છતાં સુરતના ડુમસ દરિયા કિનારે સુરતીઓ મંગળવારે ફરવા નીકળી પડ્યા હતા. સુરતીઓનો આવો મીજાજ હંમેશા જોવા મળે છે.અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર્ના લીધે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બે દિવસ મહા વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરાઇ છે.ત્યારે તા.6 થી 7 દરમિયાન દ્વારકા સહિતના દરિયાકાંઠના વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડુ આવે તેની સંભવિત અસરના પગલે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વાર આજથી બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરાશે.
Publish: Wed, 6 Nov 2019 (12:16 IST)Updated: Wed, 6 Nov 2019 (12:18 IST)