શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (18:22 IST)

રાજકોટમાં આજથી લોકમેળો રદ્દ, સ્ટોલધારકોની ભાડાની રકમ અને ડિપોઝીટ રિફંડ કરાશે

Lok Mela canceled in Rajkot from today
Lok Mela canceled in Rajkot from today
છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદની સ્થિતિને કારણે શહેરમા જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે. રાજકોટમાં ગત રાતના 12 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તેમજ બે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે સાતમ- આઠમના તહેવાર નિમિત્તે રાજકોટમાં યોજાતો લોકમેળો આખરે રદ કરવામાં આવ્યો છે. 
 
સ્ટોલ ધારકોને ભાડાની રકમ અને ડિપોઝીટ રિફંડ કરાશે
મુખ્યમંત્રી દ્રારા સ્ટોલધારકોની ભાડાની રકમ અને ડિપોઝીટ સંપૂર્ણ રિફંડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મેળાના આયોજન માટે વહિવટી તંત્રને ૨ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ધરોહર લોકમેળામાં પધારનારા ઉત્સવપ્રેમી નાગરિકો માટે ત્રિદિવસીય ડાયરાનું આયોજન કરાયું હતું. જે અન્વયે 27 ઓગસ્ટે જાણિતા હાસ્ય કલાકાર સાંઇરામ દવેનો ડાયરો યોજાવાનો હતો. જે હાલની ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને રદ કરવામાં આવ્યો છે. જેની નોંધ લેવા જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
 
અસરગ્રસ્તો માટે રહેવાની સાથે જમવાની સુવિધા ઉપલબ્ધ
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના પગલે કોઈ જાનહાનિ ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અધિકારીઓને સીધું માર્ગદર્શન મળી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા પ્રભારી અને કૃષિમંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનમાં તથા જિલ્લા કલેકટર પ્રભવ જોશીના સંકલન હેઠળ ટીમ રાજકોટ દ્વારા વરસાદની સ્થિતિ સંદર્ભે ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ આશ્રયસ્થાનો બનાવાયા છે. જેમાં લોધિકા તાલુકામાં પારડી ગામે 12, કાંગશિયાળી ગામે 8 અને લોધિકા ગામે 80 વ્યક્તિઓને શેલ્ટર હોમમાં આશ્રય અપાયો છે. આશ્રયસ્થાનોમાં અસરગ્રસ્તો માટે રહેવાની સાથે જમવાની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.