જૂનાગઢ વન વિભાગે રાત્રે જંગલમાં વૉચ ગોઠવી બે ચંદનચોર પકડી પાડ્યા
Publish: Sun, 15 Sep 2019 (10:48 IST)
Updated: Sun, 15 Sep 2019 (10:51 IST)
આ કેસમાં નાસી છુટેલા આરોપી સૈયદ મુસ્લિમ, કાલેખા સરદારખા મેવાતી, શરીફખા શરૂખા તથા યાકતશરીફને પકડી પાડવા વન વિભાગે તપાસ હાથ ધરી છે.
અમદાવાદ જૂનાગઢ વન વિભાગ હેઠળ આવતા ગીરનાર વન્યપ્રાણી અભ્યારણ્ય(Girnar Wildlife Sanctuary) નાં દક્ષિણ વન વિસ્તારમાં પ્રવેશ કરી ચંદનની ચોરી કરતા બે શખ્શોને પકડી પાડવામાં સફળતા મળી છે.
વાત એમ છે કે, વન વિભાગને એવી બાતમી મળી હતી કે, કેટલાક અજાણ્યા પરપ્રાંતિય લોકો અભ્યારણ્ય વિસ્તારમાં આવેલા ખોડીયાર રાઉન્ડના જંગલ વિસ્તારમાં પ્રવેશ્યા છે.
આ બાતમીના આધારે ફોરેસ્ટર એચ.એમ રાઠોડ અને આર.એફ.ઓ. (Range Forest Officer) ભગીરથસિંહ ઝાલાએ નાયબ વન સંરક્ષક (DCF) ડૉ. એસ.કે. બેરવાલના (Dr. Sunil Kumar Berwal) માર્ગદર્શન હેઠળ જંગલમાં રાતના વૉચ ગોઠવી હતી અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન, ગીરનાર અભયારણ્ય વિસ્તારની ચકાસણી કરતા આરોપી મુસ્તફાખા મહેબૂખા પાટ અને સરદાર શાહા ગફૂર શાહા એમ બે જણા પકડાયા હતા. આ બંને લોકો મહારાષ્ટ્રના ઔરંગાબાદના રહેવાસી છે. આ બંનેએ આરક્ષિત વૃક્ષ ચંદનના લાકડા કાપી અને ચોરી કરવાનો ગુન્હો કરતા જૂનાગઢ વન વિભાગે પકડી પાડ્યા હતા.
આ પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. આ કેસમાં નાસી છુટેલા આરોપી સૈયદ મુસ્લિમ, કાલેખા સરદારખા મેવાતી, શરીફખા શરૂખા તથા યાકતશરીફને પકડી પાડવા વન વિભાગે તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઑપરેશન દરમિયાન ચાલુ વરસાદમાં ફોરેસ્ટર એચ.એમ.રાઠોડ અને જે. એ. મયાત્રા તથા ફૉરેસ્ટગાર્ડ કે. એલ. દવે, એસ.જી. મકવાણા, કે.જી. ખાચર અને એચ. એચ.ચાવડાની સત્તર્કતાના કારણે આરોપીઓ પાસેથી સો ટકા મુદ્દામાલ અને વૃક્ષ કાપવામાં વપરાયેલા હથિયાર કબજે કરવામાં સફળતા મળી હતી.
Publish: Sun, 15 Sep 2019 (10:48 IST)
Updated: Sun, 15 Sep 2019 (10:51 IST)