ચેન્નાઈમાં ઍરફૉર્સના કાર્યક્રમ દરમિયાન ચારનાં મૃત્યુ
Publish: Mon, 7 Oct 2024 (17:59 IST)
Updated: Mon, 7 Oct 2024 (18:02 IST)
Air Force Program in Chennai- ચેન્નાઈના મરીના બીચ ખાતે ભારતીય વાયુદળ દ્વારા ઍર શૉનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.
રવિવારે ઇન્ડિયન ઍરફૉર્સના 92મા સ્થાપના દિવસે આયોજિત કાર્યક્રમને નિહાળવા માટે લાખોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
બપોરે એક વાગ્યે કાર્યક્રમ સમાપ્ત થયો ત્યારે ત્યાં હાજર રહેલી ભીડને તત્કાળ હઠાવવાનો પ્રયાસ થયો હતો, જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
મીડિયા રિપોર્ટસ મુજબ, લૂ લાગવા અને ડિહાઇડ્રેશનને કારણે લગભગ 200 લોકો બેભાન થઈ ગયા હતા. 90થી વધુ લોકોને સરકારી હૉસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા હતા, જ્યારે ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.
એવું પણ કહેવાય છે કે વધારે પડતા થાક તથા અન્ય કારણોસર પણ આ લોકોનાં મૃત્યુ થયાં હોઈ શકે છે.
ચેન્નાઈના વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકતા સમાચાર સંસ્થા પીટીઆઈ નોંધે છે કે એક વ્યક્તિનું મૃત્યુ મરીના બીચ ખાતે થયું હતું. એ સિવાયનાં મૃત્યુ અન્ય સ્થળોએ થયાં હતાં. આ લોકો પણ મરીના બીચ ખાતે ઍર શૉ જોવા પહોંચ્યા હતા.
તામિલનાડુમાં વિપક્ષના નેતા અને એઆઈએડીએમકેના વડા એ. કે. પલાનીસ્વામીએ આ ઘટના માટે રાજ્યની ડીએમકે સરકારને જવાબદાર ઠેરવી છે.
તેમણે સરકારની ઉપર આટલા મોટા આયોજન માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરી શકવાનો આરોપ મૂક્યો હતો.
Publish: Mon, 7 Oct 2024 (17:59 IST)
Updated: Mon, 7 Oct 2024 (18:02 IST)