નવસારીમાં બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાંથી નીકળી 500-1000ની નકલી નોટો
Publish: Wed, 9 Nov 2016 (12:30 IST)
Updated: Wed, 9 Nov 2016 (12:33 IST)
નવસારી સ્ટેશન બ્રાંચ બેંક ઓફ બરોડામાં સિનિયર બ્રાંચ મેનેજર વિનોદરાય જેરામભાઈ સેલાડીયાએ બેંકના બીએનએ મશીનમાં ગ્રાહકો દ્વારા જમા કરાવાતી ડુપ્લિકેટ નોટ વિશે એલસીબીને લેખિત જાણકારી આપી છે. જેની નવસારી ટાઉન પોલીસમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે. વિનોદભાઈના જણાવ્યા મુજબ દરરોજ ગ્રાહકો દ્વારા એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડાય છે, જ્યારે બીએનએ મશીનમાં તેમના નાણાં જમા થતા હોય છે. આ જમા કરેલા નાણાંને સીએમએસ ઈન્ફો સિસ્ટમ લિમિટેડ દ્વારા કલેકટ કરી લેવામાં આવે છે અને દર બીજા કે ત્રીજા દિવસે આ નાણાને બેંકમાં જમા કરી દેવામાં આવે છે. આ નોટોની ચકાસણી ત્યારબાદ અલ્ટ્રાવાયલટ રેઈસથી કરવામાં આવે છે અને આ ટેસ્ટ બાદ તમામ ડુપ્લિકેટ નોટને બેંક ઓફ બરોડાની મુખ્ય રિજનલ બ્રાંચમાં મોકલી દેવામાં આવે છે. રિજનલ બ્રાંચ આ નોટોને આરબીઆઈમાં જમા કરાવી દે છે. વિનોદભાઈ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે કે સીએમએસ મશીન દ્વારા તપાસ કરતા બેંક ઓફ બરોડાના 8 બીએનએસ મશીનમાંથી રૂ. 500ના દરવાળી બનાવટી ચલણી નોટ નંગ 48 કિંમત રૂ. 24000 અને રૂ. 1000ના દરવાળી બનાવટી ચલણી નોટ નંગ 1 કિંમત રૂ. 1000 પ્રાપ્ત થઈ હતી. જેની કુલ કિંમત રૂ. 25 હજાર થાય છે. વિનોદભાઈએ આરબીઆઈ દ્વારા નિયમને પાળી આ વિશેની નવસારી એલસીબીને લેખિત જાણકારી આપી જાણ કરી હતી. જેની ગતરોજ નવસારી ટાઉન પોલીસમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે. આ અંગેની તપાસ પીએસઆઈ રજીયાને હાથ ધરી છે.
Publish: Wed, 9 Nov 2016 (12:30 IST)
Updated: Wed, 9 Nov 2016 (12:33 IST)