શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 23 ડિસેમ્બર 2023 (11:41 IST)

300 ભારતીયો મુસાફરોને લઈ જતું પ્લેન ફ્રાન્સમાં ઉતાર્યું, માનવતસ્કરીની આશંકા

લગભગ 300 ભારતીય યાત્રીઓને લઈને નિકારાગુઆ જતા એક વિમાનને ફ્રાંસમાં ઉતારી દેવાયું છે.
 
સમાચાર એજન્સી એએફપીને પેરિસના એક અધિકારીએ જણાવ્યું કે વિમાનના યાત્રીને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને આ યાત્રીએ કદાચ માનવતસ્કરીનો ભોગ બન્યા છે.
 
આ વિમાન સંયુક્ત અરબ અમીરાતથી રવાના થયું હતું અને હાલ ફ્રાંસના વૈટ્રી ઍરપૉર્ટ પર છે. આ ઍરપૉર્ટ પર તે ઈંધણ ભરાવાવા માટે ઊતર્યું હતું.
 
એએફપીને મળેલી જાણકારી મુજબ, આ વિમાનનું સંચાલન રોમાનિયાની કંપની લેજેન્ડ ઍરલાઇન્સ કરે છે.
 
એએફપીને એક સૂત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર, "આ ભારતીય યાત્રીઓની યોજના મધ્ય અમેરિકા જઈને ગેરકાયદે રીતે અમેરિકા અથવા કૅનેડામાં પ્રવેશ કરવાની હતી."
 
ફ્રાંસના ભારતીય દુતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર માહિતી આપી હતી કે, "ફ્રાંસની સરકારે અમને માહિતી આપી હતી કે ફ્રાંસના એક વિમાનમથક પર દુબઈથી 303 મુસાફરોને નિકારાગુઆ લઈ જતા વિમાનની તકનીકી ખામીના ઉતારવામાં આવ્યું છે."
 
તો ભારતીય દૂતાવાસે કહ્યું કે "મોટા ભાગના મુસાફરો ભારતીય મૂળના છે અને દૂતાવાસની એક ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને કૉન્સ્યુલર પરવાનગી મેળવી છે. અમે પરિસ્થિતિની તપાસ કરી રહ્યા છીએ, સાથે મુસાફરોની પણ સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છીએ."
 
મુસાફરોની તપાસ
 
ફ્રાંસના લા મોન્ડે સમાચારપત્રના અહેવાલ પ્રમાણે, "ફ્રાંસની રાષ્ટ્રીય સંગઠિત ગુના વિરોધી ટીમ જુનાલ્કોએ આ ઘટનાની તપાસ પોતાના હાથમાં લીધી છે. પેરિસના પ્રોસિક્યુટરે લા મોન્ડેને કહ્યું કે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દરેક મુસાફરોની તપાસ કરી રહી છે અને બે લોકોની વધારે પૂછપરછ માટે ધરપકડ કરી છે."
 
પેરિસના પ્રોસિક્યુટરે જણાવ્યું કે "એક અનામી બાતમીના આધારે આ વિમાનની અટકાયત કરવામાં આવી છે. આ બાતમી અનુસાર આ વિમાનના મુસાફરો કદાચ માનવતસ્કરીનો ભોગ બન્યા છે. મુસાફરોને હાલમાં વૈટ્રી વિમાનમથકનાં મુખ્ય હૉલમાં રાખવામાં આવ્યા છે."
 
ફ્રાંસના માને વિસ્તારના ઉત્તર પૂર્વીય વિભાગે જણાવ્યું કે વિમાન એ340 વૈટ્રી વિમાનમથક પર ગુરુવારથી રોકી રાખવામાં આવ્યું છે. વૈટ્રી વિમાનમથક પેરિસથી 150 કિલોમીટર દૂર પૂર્વની તરફ આવેલું છે.
 
ફ્રાંસની બૉર્ડર પોલીસ અને રાષ્ટ્રીય સંગઠિત ગુના વિરોધી ટીમ આ મામલા પર તપાસ કરી રહી છે.
 
આ સમગ્ર ઘટના વિશે એએફપી સાથે વાત કરતા લેજેન્ડ એરલાઇન્સનાં વકીલ લિલિયાના બાકાયોકોએ કહ્યું, "કંપનીનું માનવું છે કે તેણે કશું ખોટું કર્યું નથી કે કોઈ ગુનો કર્યો નથી અને અમે ફ્રાંસની સરકારને પૂરો સહયોગ કરીએ છીએ. જોકે, પ્રોસિક્યુટર અમારા વિરુદ્ધ ગુનો દાખલ કરશે તો અમે કાનૂની કાર્યવાહી કરીશું.